October 16, 2024
પ્રતિકૂળ વાતાવરણ રહેતા આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીમાં ઉત્પાદન 40-50% ઓછું થવાની સંભાવના

પ્રતિકૂળ વાતાવરણ રહેતા આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીમાં ઉત્પાદન 40-50% ઓછું થવાની સંભાવના

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ગુજરાતની સ્પેશિયલ કેસર કેરી માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે ખરાબ વાતાવરણના પગલે કેસર કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાની ધારણા છે. ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આંબમાં ફ્લાવરિંગ આવવાના સમયે જરૂર મુજબનું ગરમ વાતાવરણ ન મળવાથી ફ્લાવરિંગની પહેલી સિઝનમાં બહુ ઓછા ફળ બન્યા હતા. પ્રતિકૂળ વાતાવરણના કારણે બીજી સાઇકલ 50-60 દિવસ મોડી થઈ છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષોથી કેરી માટે અનુકૂળ વાતાવરણ ન રહેવાથી રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન ઘટ્યું છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના વડા ડી. કે. વરુએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગુજરાતમાં ઓગસ્ટમાં ચોમાસું પૂરું થઇ જતું હોય છે, તેના બદલે આ વખતે નવેમ્બર સુધી વરસાદ આવ્યો જેના કારણે આંબા પર મોર મોડા આવ્યા હતા. આ સાથે જ ફળ બેસવાના શરુ થયા ત્યારે પણ દિવસ અને રાતના તાપમાનમાં અસામાન્ય વધઘટ રહી હતી. શિયાળામાં ઠંડી ઓછી મળવાથી અને ભેજના પ્રમાણના કારણે ચુસીયો અને મધીયો જેવી જીવત પણ આવી છે. આ બધા પરિબળોના પરિણામ સ્વરૂપ આંબા પર ૪૦-૫૦% ફ્રુટ્સ જ આવ્યા છે. તેની ક્વોલિટીને પણ અસર થઇ છે. વર્તમાન સ્થિતિને જોતા આ વર્ષે કેરીનું ઉત્પાદન ૫૦% ઓછુ થવાની સંભાવના છે.

ગુજરાતના બાગાયત વિભાગના આંકડા જોઈએ તો 2020માં રાજ્યમાં કેરીનું 12.07 લાખ ટનથી વધારે ઉત્પાદન હતું જે 2023માં ઘટીને 9.60 લાખ ટન થયું હતું. દક્ષિણ ગુજરાતમાં 7 લાખ ટનનું ઉત્પાદન હતું જે ઘટીને 4.81 લાખ ટન ઉપર પહોંચ્યું છે. તેવી જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કેરીનું ઉત્પાદન 3.50 લાખ ટન આસપાસ રહેતું હતું. વિતેલા પાંચ વર્ષો દરમિયાન બિપારજોય સહિતના વાવાઝોડા અને વાતાવરણમાં થયેલા ફેરફારથી ઉત્પાદન ઘટીને 2.68 લાખ ટન થયું છે.

ગીર પંથકના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે એપ્રિલના બીજા સપ્તાહથી કેસર કેરીની આવકો શરુ થઇ જાય છે. જોકે, આ વર્ષે પાકની સ્થિતિ છે તે જોતા મે મહિનાના પહેલા કે બીજા અઠવાડિયે કેસર કેરી બજારમાં આવવાની શરૂઆત થશે. તાલાલા અને તેની આસપાસના વિસ્તારોમાંથી કેસર કેરીની સૌથી વધુ આવકો થાય છે. ગત વર્ષે તાતાલા APMCમાં ૧૮ એપ્રિલે કેસર કેરીની હરાજી શરુ થઇ હતી પરંતુ કેરી તૈયાર ન હોવાથી આ વર્ષે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ વર્ષે સંભવત: મેના પહેલા સપ્તાહે હરાજી શરુ થશે.