October 16, 2024
MSME માટે ૪૫ દિવસમાં ફરજીયાત પેમેન્ટ: કાપડના નાના વેપારીઓનો અડધો ધંધો મીડિયમ અને મોટા ટ્રેડર્સ પાસે જતો રહ્યો

MSME માટે ૪૫ દિવસમાં ફરજીયાત પેમેન્ટ: કાપડના નાના વેપારીઓનો અડધો ધંધો મીડિયમ અને મોટા ટ્રેડર્સ પાસે જતો રહ્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ભારત સરકારે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSME)ની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બાયર્સે તેમને ૪૫ દિવસની અંદર ચુકવણી ફરજીયાત બનાવી છે. સરકારનો ઈરાદો નાના વેપારીઓ અને ઉદ્યોગોનું સારું કરવાનો હતો. જોકે, કેન્દ્ર સરકારે આકારણી વર્ષ 2024-25 માટે એક નવો નિયમ અમલમાં મૂક્યો છે, જેના હેઠળ ખરીદદારોએ MSMEs પાસેથી ખરીદેલા માલની ડિલિવરીના 45 દિવસની અંદર ચૂકવણી કરવી પડશે અને 31 માર્ચ, 2024 પહેલાં MSMEsને તમામ લેણાંની ચુકવણી કરવી પડશે. આના કારણે ગુજરાતના કાપડના વેપારીઓનો ધંધો અડધો થઈ ગયો છે. એટલું જ નહીં પણ તેમનો અંદાજે 50% જેવો વેપાર મીડિયમ અને લાર્જ પ્લેયર્સ પાસે ડાઈવર્ટ થઈ ગયો છે.

બાયર્સ જૂના ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે

મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું કે,  કાપડનો ઉદ્યોગ વર્ષોથી ઉધારી પર ચાલે છે. આ નિયમને કારણે સમગ્ર દેશના વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને બાયર્સ તેમના જુના અને પેન્ડિંગ ઓર્ડર્સ કેન્સલ કરી રહ્યા છે. હાલમાં રૂ. 50 કરોડથી ઉપરનો વેપાર છે તેને ધંધો મળી રહ્યો છે, પણ આવા માત્ર 10-15% વેપારીઓ છે. ગુજરાતમાં 80-85% નાના વેપારીઓ છે જેમનું ટર્નઓવર રૂ. 50 કરોડથી નીચે છે. આ વેપારીઓને નવા કોઈ ઓર્ડર મળતા નથી. અમે નાણામંત્રીને રજૂઆત કરી અને પરિસ્થિતિ સમજાવી છે. અમને આશા છે કે ટૂંકમાં તેનો નિવેડો આવશે.

વેપારી સંગઠનોએ જણાવ્યું કે, MSMEને 45 દિવસમાં ચુકવણું કરી દેવાનો નિયમ સારો છે પણ તેને લાગુ કરવા અને ખરીદારો વચ્ચે તાલમેલ બેસાડવા માટે થોડો સમય લાગશે. ગુજરાતના એસોસિએશન્સ દ્વારા વેપારીઓને નવા નિયમ અંગે જાગરુક કરવામાં આવી રહ્યા છે. જોકે સંગઠનોનું માનવું છે કે, નિયમના યોગ્ય અમલીકરણ માટે સરકારે વેપારીઓને એક વર્ષનો સમય આપવો જોઈએ.

નાના વેપારીઓ ધંધો ગુમાવી રહ્યા છે

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોશિએશનના પ્રેસિડેન્ટ કૈલાશ હકીમે જણાવ્યું કે, આ નિયમ સારો છે પણ તેને લઈને હજુ વેપારીઓમાં સ્પષ્ટતા નથી તેના કારણે ખાસ કરીને ખરીદદારોમાં ગભરાટ ફેલાયો છે. બીજી તરફ 45 દિવસમાં પેમેન્ટનો નિયમ મધ્યમ અને મોટા વેપાર ઉદ્યોગોને લાગુ પડતો નથી. આના કારણે નાના વેપારીઓનો આશરે 40-50% ધંધો મીડીયમ અને મોટા વેપારીઓ પાસે જઈ રહ્યો છે.